Thursday, August 9, 2012

સૌમ્ય જોશી


ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ


આ સ્યોરી કેવા આયો સુ ને ઘાબાજરિયું લાયો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતાતા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કેઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈતીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલીતી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને માત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉસું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયોતો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!
('ગ્રીન રૂમમાં' માંથી )

No comments:

Post a Comment